વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ દેવીપૂજકવાસમાં ઘરની દિવાલમાં પાણી ઉતરવાના મુદ્દે બે સગા ભાઈઓના પરિવારો વચ્ચે મારામારી થતાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. ત્યારે ઘટનાને પગલે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે બે મહિલા સહિત કુલ ૧૦ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના નવાપરા પુલના છેડે દેવીપુજકવાસ વિસ્તારમાં ઘરની દિવાલમાં પાણી ઉતરવાના મુદ્દે બે સગા ભાઈઓના પરિવારો વચ્ચે વિવાદ ઉગ્ર બની મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાને પગલે બંને પક્ષે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ, ફરિયાદી દિનેશભાઇ કેશુભાઈ ભોજવીયાએ ફરિયાદ નોંધાવી કે, આરોપીઓ કંચનબેન ઝવેરભાઈ ભોજવીયા, ઝવેરભાઈ રાયસીંગ ભોજવીયા, જયંતિભાઈ રાયસીંગ ભોજવીયા, આકાશ જયંતિભાઈ ભોજવીયા અને અજય ઝવેરભાઈ ભોજવીયાએ ઘરમાં આવી ગાળો આપી લાકડાના ધોકા અને ઢીકાપાટુથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
જ્યારે સામા પક્ષે ઝવેરભાઈ રાયસિંગભાઈ ભોજવીયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, જયોતિબેન રાજેશભાઈ ભોજવીયા, દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા, કેશુભાઈ રાયસીંગ ભોજવીયા, રાજેશભાઈ કેશુભાઈ ભોજવીયા અને રોહિતભાઈ કેશુભાઈ ભોજવીયાએ ગાળો આપી ઇંટના ટુકડાઓ વડે હુમલો કરી પરિવારના સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હતા. હાલ આ મારમારીમાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ થતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષના કુલ ૧૦ સભ્યો સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





