મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલી પોલીપેક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા ૨૭ વર્ષીય શ્રમિકનું જમ્યા બાદ અચાનક ઉલ્ટી થતાં મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અ.મોતની નોંધ જારી મૃત્યુનું કારણ જાણવા આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ચાચાપર ગામે રામેશ્વર-ચાચાપર રોડ પર આવેલી એકપુરા પોલીપેક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા સેતાનભાઈ વેલસીંગ ડામોર ઉવ.૨૭ ગઈકાલ ૧૯ જૂનની રાત્રીના સમયે કોલોનીમાં હાજર હતા. ત્યારે જમ્યા બાદ ઊભા થતાં તેમને અચાનક ઉલ્ટી થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી સેતાનભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી, મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.






