મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારાના વિદ્યાર્થીઓને મળશે લાભ, વધુ ૩૨ શાળાઓની દરખાસ્ત મંજૂરી માટે મોકલાઈ.
મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ના નવા શૈક્ષણિક સત્રથી ૧૪ નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની મંજૂરી મળી છે. વિવિધ ધારાસભ્યો અને ગ્રામજનોની રજૂઆત બાદ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ હકારાત્મક અહેવાલ મોકલતા ગાંધીનગરથી મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને નજીકમાં માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ બનશે જેથી ડ્રોપઆઉટ દરમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં માધ્યમિક શિક્ષણના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના નવા શૈક્ષણિક સત્રથી જીલ્લામાં કુલ ૧૪ નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાના જણાવ્યા મુજબ વિવિધ ગામોના આગેવાનો અને જનપ્રતિનિધિઓની રજૂઆતોને પગલે સ્થળ તપાસ કરીને હકારાત્મક અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો, જેના આધારે કમિશનર શાળાઓની કચેરી-ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મંજૂર થયેલી શાળાઓમાં મોરબી તાલુકાની વજેપરવાડી, માધાપરવાડી અને પીપળી ખાતે ત્રણ નવી સરકારી માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. વી.સી. હાઈસ્કૂલ બાદ હવે આ વિસ્તારોમાં વધુ સરકારી શાળાઓ ઉપલબ્ધ બનતાં સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને ખાનગી શાળાઓની મોંઘી ફીમાંથી રાહત મળશે. આ ઉપરાંત ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ખાતે એક, વાંકાનેર તાલુકામાં ખીજડીયા, જાંબુડિયા વીડી, પીપળીયા અગાભી, ચિત્રાખડા, ગાંગીયાવદર, ઓળ અને વાલાસણ સહિત સાત નવી શાળાઓને મંજૂરી મળી છે. જ્યારે હળવદ તાલુકામાં રણછોડગઢ, રાણેકપર અને રાતાભે ગામોમાં ત્રણ નવી માધ્યમિક શાળાઓ શરૂ થશે.
જીલ્લા શિક્ષણ વિભાગે વધુ ૩૨ નવી શાળાઓ માટે પણ દરખાસ્તો રાજ્ય સરકારને મોકલી છે. માપદંડોને અનુરૂપ આ દરખાસ્તોને પણ મંજૂરી મળવાની શક્યતા હોવાનું જણાવાયું છે. નવી શાળાઓ શરૂ થતાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તાર નજીક જ માધ્યમિક શિક્ષણ મળશે, જેના કારણે શિક્ષણનું સ્તર સુધરશે અને અભ્યાસ અધવચ્ચે છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે.






