દુકાને ભાગ લેવા જવાનું કહી ઘરેથી નીકળેલી સગીરા પરત ન ફરતા પરિવારની ચિંતા વધી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમિયાનગર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા ગત ૩ જુલાઈએ સાંજે દુકાને ભાગ લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. કોઈ ભાળ ન મળતાં અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી-૨ સોઓરડી પાછળ આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારની ૧૫ વર્ષની સગીરા ગત તા.૩ જુલાઈની સાંજે દુકાને જવાનું કહી ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારજનોએ આસપાસ તેમજ સગા-સંબંધીઓમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી ન હતી. પરિવારે તપાસ કરતા સગીરાના કેટલાક દસ્તાવેજો પણ ઘરમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી સગીરાની શોધખોળ શરૂ કરી છે.






