ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ બંધ ફેક્ટરીના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ આશરે ૧૫૦ કિલો કોપર વાયર અને કોપર વાયરના ગુંચળા કિ.રૂ.૧.૫૦ લાખની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે ફેક્ટરીના માલીક દ્વારા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં આવેલ ફ્લોરોના બાયોવેર એલ.એલ.પી. નામના બંધ કારખાનામાંથી કોપરના કેબલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે ફેક્ટરીના ભાગીદાર રાજકોટના કાલાવાડ રોડ ઉપર અનંતા સોસાયટીમાં રહેતા મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડિયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, આશરે દોઢ વર્ષથી બંધ પડેલા ફ્લોરોના કારખાનાની મશીનરી અને કોપર કેબલ કાઢવાની કામગીરી ચાલી રહી હતી. મશીનરીમાંથી કાઢવામાં આવેલા નાની-મોટી સાઇઝના કોપર કેબલના ગુંચળા કારખાનાની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ગત તા.૦૫/૦૪ના રોજ ખુલ્લી જગ્યામાં રાખેલા કોપર કેબલના ગુંચળા કોઈ ચોરી કરી લઈ ગયું હોવાનું ફેક્ટરીમાં રહેતા મજૂરો દ્વારા મુકેશભાઈને જાણ કરાઈ હતી, ત્યારબાદ તપાસ કરતા આશરે ૧૫૦ કિલો વજનના કોપર કેબલ કિ.રૂ.૧.૫૦ લાખ સહિતનો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવ્યું હતું. હાલ ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





