ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર દ્વારા સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા ખાતે પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે શિલ્પકાર તરીકે કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી ૬ મહિનાના બિગીનર પ્રમાણપત્ર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ૧૪ થી ૨૮ વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછુ ધોરણ ૮ પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ તાલીમમાં જોડાઈ શકે છે.
એપ્રિલથી બિગીનર પ્રમાણપત્ર કોર્સ શરુ થયા બાદ તબક્કાવાર માધ્યમિક સર્ટીફીકેટ કોર્સ, એડવાન્સ સર્ટીફીકેટ કોર્સ અને ડીપ્લોમા કોર્સ શરુ કરાશે. ઇન્સ્ટીટયુટને અદ્યતન અને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે વિવિધ જરૂરી માળખાકીય સુવિધાઓ, તાલીમાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ, ફેકલ્ટી ક્વાર્ટર, કેન્ટીન, ક્લાસરૂમ, પ્રેક્ટીકલ ટ્રેનીંગ રૂમ, શૌચાલય જેવી અદ્યતન માળખાકીય સગવડો ઊભી કરવામાં આવી છે.
સાપ્તી-ધ્રાંગધ્રા ખાતે મુખ્યત્વે સેન્ડસ્ટોન ઉપરાંત ગ્રેનાઈટ તથા અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાનું કાર્ય થઇ રહ્યું છે. પથ્થરકળા અને ડીઝાઇન ક્ષેત્રના નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા સ્વાવલંબી અને સર્જનાત્મક પથ્થર કળા/શિલ્પ કળા સર્જક બનવા માટેની શૈક્ષણિક તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીઓને થીયરી ઉપરાંત ડ્રોઈંગ, સ્કેચિંગ, ડીઝાઈનીંગ તથા પથ્થરને કંડારવાની કળાનું પ્રાથમિકથી લઈને ઉચ્ચસ્તરીય જ્ઞાન મળશે. અહી તાલીમાર્થીઓ હાથથી તેમજ લેથ અને અન્ય મશીનો દ્વારા શિલ્પ કળાની કૃતિઓ તૈયાર કરવામાં મહારત પ્રાપ્ત કરી શકશે. તેમજ તાલીમાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો-કમ્યુનીકેશન સ્કીલ, અંગ્રેજી, કોમ્પ્યુટર વગેરે શીખવવામાં આવશે.
કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી, ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ (GCVT) અને સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી) દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે,
સાપ્તીના તાલીમ કોર્સમાં જોડાવવા અને વધુ વિગતો માટે વેબસાઈટ https://sapti.gujarat.gov.in ની મુલાકાત લેવા સાપ્તી સ્ટેટ નોડલ યુનિટ, ગાંધીનગરના નિયામક વીણા પડીઆ દ્વારા જણાવાયું છે. ઉમેદવારો વધુ માહિતી માટે સાપ્તી ધ્રાંગધ્રાના પ્લેસમેન્ટ અને પાર્ટનરશીપ ડેવલપમેન્ટ ઓફિસરશ્રી અશરફ નથવાણી મો.નં. ૮૧૪૧૯૬૩૨૮૭નો સંપર્ક કરવા જણાવાયું છે.