મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તેમજ લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૦૬-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જૂન મહિના સુધી હથિયાર બંધી તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી જાહેર કરવામાં આવી છે. જેમાં હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ કે જેવી વસ્તુઓ ફેંકવાની, ધકેલવાની કે સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ લગાવાયો છે. તે ઉપરાંત મનુષ્યો, શબો, આકૃતિઓ, પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની, ભેદભાવ, ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો/વસ્તુઓ તૈયાર કરવા તેમજ બતાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું સરકારી નોકરીમાં કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ. તેમ પણ જાહેર કરવામાં આવ્યું છે.