વાંકાનેરના વૃંદાવન પાર્કમાં રહેતા કારખાનેદાર વેપારીના ઘરમાં તેમના પરિવાર સાથે રાજકોટ ગયેલા તે સમયે ચોરોએ બંધ મકાનના તાળાં તોડી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો ઘરમાંથી અંદાજે રૂ.૧.૭૦ લાખના સોના-ચાંદીના દાગીના અને ત્રણ મોબાઇલ ફોનની ચોરી કરી ગયા છે. હાલ પોલીસે અજાણ્યા ઈસમોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર શહેરના રાજકોટ રોડ પર આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ મકવાણા ઉવ.૫૩ ગઈ તા. ૧૩ મેના રોજ દિકરીના દાંતની સારવાર માટે પત્ની અને બન્ને દિકરીઓ સાથે રાજકોટ ગયા હતા, દરમિયાન ૧૫ મેના રોજ સવારે તેમના પાડોશીએ ફોન ઉપર જાણ કરી હતી કે તેમના ઘરમાં ચોરી થઇ છે. જેથી હસમુખભાઈ વાંકાનેર પરત આવી જોયું તો, તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડવામાં આવ્યું છે અને બેડરૂમની તિજોરીમાં રહેલા તમામ દાગીના અને મોબાઇલ ફોન ગાયબ હતા. તિજોરીમાંથી સોનાના ૭૫ ગ્રામ તથા ચાંદીના ૩૨૦ ગ્રામના દાગીના અને ત્રણ નંગ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કુલ કિ.રૂ.૧.૭૦ લાખની ચોરી થઈ હતી. વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.