મોરબી શહેર કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા શહેરવાસીઓને મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેનો અનુરોધ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાએ ૨૧ જૂન – આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે. યોગ એ આપણી સંસ્કૃતિ છે અને આપણો વારસો છે. વિશ્વએ આપણી આ સંસ્કૃતિને સ્વીકારી છે, જેના ભાગરૂપે દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મોરબી શહેર કક્ષાએ આ આપણા અમુલ્ય વારસાને હેરિટેજ સાથે જોડી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
મોરબીની ઓળખ સમાન મણીમંદિર કે, જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિમંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી શહેર કક્ષાના કાર્યક્રમમાં સર્વે શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.