સરકારી ભરતી, તાલુકા પંચાયત ચૂંટણી અને મનરેગા લાભોમાં વિસંગતતાઓ હોવાનો દાવો, બોગસ જાતિ પ્રમાણપત્રોની ઉચ્ચસ્તરીય તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ.
“યુવા અધિકાર ન્યાય ચળવળ”ના યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી એક જ પરિવારના બે સગા ભાઈઓએ અલગ-અલગ અનામત કેટેગરીનો લાભ મેળવ્યો હોવાનો દાવો કરી રાજ્યવ્યાપી ચર્ચા જગાવી છે. રજૂ કરાયેલા દસ્તાવેજોના આધારે એક ભાઈએ OBC અને બીજા ભાઈએ ST કેટેગરીમાં સરકારી નોકરી મેળવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ તાલુકા પંચાયત ચૂંટણી અને મનરેગા યોજનાના લાભોમાં પણ વિસંગતતાઓ હોવાનો દાવો કરી સમગ્ર મામલે વિજિલન્સ તપાસ, ફોજદારી કાર્યવાહી અને પ્રમાણપત્રોની ખરાઈની માંગ કરવામાં આવી છે.
જાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી ભરતી, ચૂંટણી અને સરકારી યોજનાઓમાં મળતા લાભોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. “યુવા અધિકાર ન્યાય ચળવળ”ના આગેવાન યુવરાજસિંહ જાડેજાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી કથિત જાતિ પ્રમાણપત્ર કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. યુવરાજસિંહના જણાવ્યા મુજબ, હરેશ રેવાભાઈ સરસૈયા વર્ષ 2015-16ની ભરતીમાં SEBC (OBC) કેટેગરી હેઠળ રેવન્યુ તલાટી તરીકે પસંદગી પામ્યા હતા અને હાલ મોરબી ખાતે ફરજ બજાવી રહ્યા છે. બીજી તરફ તેમના સગા ભાઈ નવઘણ રેવાભાઈ સરસૈયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2023-24ની ભરતીમાં ST (અનુસૂચિત જનજાતિ) કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામ્યા હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા 7/12, ગામ નમૂના નં. 8-અ, જન્મ પ્રમાણપત્ર, શાળાના એલ.સી. સહિતના દસ્તાવેજોના આધારે બંને વ્યક્તિઓ એક જ પિતા રેવાભાઈ હમીરભાઈના પુત્રો હોવાનું જણાવાયું હતું. આ સંજોગોમાં એક જ પરિવારના બે ભાઈઓ અલગ-અલગ અનામત વર્ગના લાભાર્થી કેવી રીતે બની શકે તેવો સવાલ યુવરાજસિંહે ઉઠાવ્યો હતો. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે નવઘણ સરસૈયાએ વર્ષ 2021માં વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને તે સમયે ST કેટેગરીના પ્રમાણપત્રના આધારે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ બાબતે ચૂંટણી તંત્ર દ્વારા જાતિ પ્રમાણપત્રની પૂરતી ચકાસણી થઈ હતી કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં મનરેગા યોજનાના કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક જ પરિવારના સભ્યો દ્વારા વિવિધ અરજીઓમાં અલગ-અલગ જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે પરિવાર પાસે આશરે 15 વીઘા જેટલી ખેતીલાયક જમીન તથા સરકારી નોકરીમાં કાર્યરત સભ્ય હોવા છતાં સરકારી યોજનાઓના લાભ મેળવવાના પ્રયાસો થયા હોવાની તપાસ થવી જોઈએ. યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે રાજ્ય સરકાર, સમાજ કલ્યાણ વિભાગ, મહેસૂલ વિભાગ, ભરતી બોર્ડ, ચૂંટણી પંચ અને વિજિલન્સ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવાની માંગ કરી હતી. તેમણે બંને ભાઈઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ, પ્રમાણપત્રો ઇસ્યુ કરનાર અધિકારીઓની ભૂમિકા, ભરતી પ્રક્રિયા અને ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા દસ્તાવેજોની ચકાસણી સહિત તમામ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ કરાવવા માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવે તો સંબંધિત વ્યક્તિઓ તથા અધિકારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ખોટા જાતિ પ્રમાણપત્રો સંબંધિત કાયદાઓ અને અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. સાથે જ બોગસ પ્રમાણપત્રોના આધારે મેળવાયેલી સરકારી નોકરી, સરકારી લાભો અને અન્ય સુવિધાઓ અંગે પણ કાયદેસર નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
તેમજ નવઘણ રેવાભાઈ સરસૈયા એ વર્ષ ૨૦૨૧ માં વાંકાનેર તાલુકા પંચાયતમાં ST (આદિજાતિ) અનામત અરણીટીંબા બેઠક પર ચૂંટણી પણ લડી લીધી છે ત્યારે નવઘણ સરસૈયા અને હરેશ સરસૈયા બંને જોડિયા ભાઇઓ છે અને ભરવાડ સમાજ માંથી આવે છે તો ભરવાડ સમાજ થી હોવા છતાં આદિજાતિ કેટેગરી માં કઈ રીતે લાભો.મેળવી શકે?કઈ રીતે ST સર્ટિફિકેટ મેળવ્યું?તેમજ પરિવારને ૧૫ વિઘા જેટલી જમીન છે અને એક દીકરો વર્ષ ૨૦૧૬ થી તલાટી તરીકે ફરજ બજાવે છે છતાં તેઓએ મનરેગા યોજનામાં મજૂર તરીકે કામ કરવા ફોર્મ ભરી ને આર્થિક લાભ મેળવવા ફોર્મ ભરેલ જેમાં પણ આખા પરિવારના ફોર્મ માં SEBC કેટેગરી દર્શાવેલ છે જ્યારે માત્ર નવઘણ સરસૈયા ના ફોર્મ માં જ ST કેટેગરી દર્શાવી છે ત્યારે આટલા વર્ષો સુધી નવઘણ ST કેટેગરીમાંથી વિવિધ લાભો મેળવી રહ્યો છે અને આ ત્કમ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ કોની મદદ થી બનાવ્યા તે અંગે પણ તપાસ જરૂરી છે.






