મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અને દીનદયાળ અત્યોદય મિશન અંતર્ગત “માય થેલી” ઈવેન્ટની શરૂઆત કરવામાં આવી. જૂના કપડાંમાંથી સખી મંડળો દ્વારા થેલીઓ બનાવવામાં આવી રહી છે. આ અભિયાન દરેક ગુરુવાર અને શુક્રવારે યોજાશે અને ૩૧ ઑક્ટોબર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.
પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત મોરબી બનાવવાના હેતુસર મોરબી મહાનગરપાલિકા દ્વારા “માય થેલી” નામની અનોખી અને સમાજહિતની પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે એક ટાઈમ ઉપયોગવાળી પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ ઘટે, અને નાગરિકોમાં સ્વચ્છતા તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય.
આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશન (અર્બન) અને દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત હાથ ધરાયો છે. “માય થેલી” અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારની નોધપાત્ર ચારે જગ્યાઓ કેસરબાગ, દીપ્તિ હેલ્થ સેન્ટર (વીસીપરા), મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેલવે સ્ટેશન રોડ) તથા ક્લસ્ટર ઓફિસ (શનાળા) ઉપર સખી મંડળોની બહેનો દ્વારા જુના કપડાંમાંથી વિનામૂલ્યે કાપડની થેલીઓ તૈયાર કરી શહેરીજનોને આપવામાં આવી રહી છે.
આ ઇવેન્ટ દર ગુરુવાર અને શુક્રવારના રોજ આયોજિત કરવામાં આવશે અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આ અભિયાન ચાલું રહેશે. મોરબીના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે તથા નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા દ્વારા તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અને પ્લાસ્ટિક મુક્ત મોરબીની દિશામાં સહયોગ આપવા માટે અનુરોધ કરાયો છે.