મોરબીના રવાપર રોડ સુભાષનગરમાં રહેતા વેપારી ઉપર તેમના ભત્રીજાના સાસરીયા પક્ષના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો અત્રેના પોલીસ મથકે પહોંચ્યો છે. આ હુમલામાં આશરે ૨૩ લોકોએ એક સંપ કરી, મંડળી રચી, ઘરમાં ઘુસી વેપારી અને તેમના ભાઈને લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બંને ભાઈઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ વેપારીની ફરિયાદને આધારે પોલીસે ૧૧ આરોપીઓ વિરુદ્ધ નામ જોગ અને ૧૨ જેટલા અજાણ્યા એમ કુલ ૨૩ સામે બીએનએસ અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ સુભાષનગર શેરી નં.૪ બ્લોક નં. ૧૦૭ માં રહેતા દિલીપભાઈ મોતીભાઈ મેંદપરા ઉવ.૫૮ જે વેપારી છે, તેમણે મોરબી સરકારી હોસ્પિટલના બિછાનેથી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ કુલ ત્રેવીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી (૧)નિગમભાઈ શાંતીલાલ ધોરીયાણી, (૨)નિમીતાબેન કેવલભાઈ ધોરીયાણી, (૩)પુષ્પાબેન નિગમભાઈ ધોરીયાણી, (૪)નિતીનભાઈ શીવાભાઈ મેરજા, (૫)પ્રદિપભાઈ પરસુંબીયા, (૬)સંગીતાબેન પ્રદિપભાઈ પરસુંબીયા, (૭)જાગૃતિબેન નવીનભાઈ ચાડમીયા, (૮)નવીનભાઈ ડાયાભાઈ ચાડમીયા, (૯)રવીભાઈ નિગમભાઈ ધોરીયાણી, (૧૦)નિરજભાઈ શાંતીભાઈ ધોરીયાણી,(૧૧)રાજભાઈ નિરજભાઈ ધોરીયાણી તથા અજાણ્યા આશરે બાર જેટલા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે, ગત તા.૨૭ જૂનના રોજ રાત્રે અંદાજે ૧૧ વાગ્યે તેમના ભત્રીજા ઋતુલના સાસરીયા પક્ષના સભ્યો, જેમાં તેમના સાળા કેવલભાઈ ધોરીયાણીની પત્ની નિમીતાબેન તથા અન્ય નજીકના સગા સહિતના કુલ ૨૩ જેટલા લોકો ત્રણ ફોરવ્હીલમાં આવી તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા.
ફરિયાદ પ્રમાણે, ભોગ બનનાર દિલીપભાઈનો ભત્રીજો ઋતુલના સસરા ભરતભાઈ મગનભાઈ ધોરીયાણી અને ઋતુલનો સાળો કેવલભાઈ ભરતભાઈ ધોરીયાણી વચ્ચે મિલકત બાબતે વારંવાર ઝઘડો થતો અને તેઓ દિલીપભાઇના ભત્રીજા ઋતુલને બોલાવતા હતા જેથી દિલીપભાઈએ તેઓને ભત્રીજા ઋતુલને તેઓના ઝઘડામાં વચ્ચે રાખવાની ના પાડેલ અને તેઓને સમજાવતા હતા, આ ઉપરાંત ગઇ તા. ૨૭/૦૬ના રોજ સાંજે છએક વાગ્યે, દિલીપભાઈએ ઋતુલના સાળા કેવલભાઈને ફોન કરીને કહ્યું કે મારા ભત્રીજાને તમારા પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે ન રાખો તે મુજબનું કહેતા આ કેવલભાઈ તેના ઘરે જાણ કરતા કેવલભાઈની પત્ની નિમીતાબેને તેના સગાવ્હાલા સાથે એકસંપ કરીને, દિલીપભાઇના ઘરે આવેલ અને તેમની સાથે ઝઘડો કરેલ અને દિલીપભાઈ તથા તેના ભાઈ સંજયભાઈને ધોકા તેમજ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. અને મારી નાખવાની ધમકી આપી તમામ નાસી છૂટ્યા હતા. ત્યારે હાલ એ ડિવિઝન પોલીસે હુમલાખોર કુલ ૨૩ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.