મોરબી શહેર તેમજ વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં એક વ્યક્તિનું અકસ્માતે પડી જવાથી મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિનું અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તે ઉપરાંત વાંકાનેર વિસ્તારમાં પરિણીતાએ કોઈ કારણસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. ત્રણેય ઘટનામાં પોલીસે અ.મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી અને વાંકાનેર વિસ્તારમાં તાજેતરમાં અપમૃત્યુના કુલ ત્રણ બનાવ નોંધાતા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી શહેરમાં રહેતા શ્રીકાંતભાઈ શિવરામભાઈ ઉંમર આશરે ૫૦ વર્ષ વાળા ગઈકાલ તા.૨૫/૦૧ ના રોજ લાતી પ્લોટ વિસ્તારમાં કોઈપણ અકસ્માતના કારણે પડી જવાથી તેમનું મોત થયું હતું. તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી શ્રીકાંતભાઈને મૃત જાહેર કર્યા હતા.
અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી સીટી બી ડીવીસ પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધ મુજબ જેઠાભાઈ હીરાભાઈ પરમાર ઉવ.૬૦ રહે. વણકર સમાજની વાડી પાસે ભડીયાદ કાટે મોરબી વાળાને ગઈકાલ તા.૨૫/૦૧ના રોજ અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ લીંબધાબરા તા.દાહોદના વતની હાલ વાંકાનેરના હસનપર ગામની સીમમાં ફયુચર રીફ્રેક્ટરીમાં રહેતા લલીતાબેન અક્ષયભાઈ દેવધા ઉવ.૨૧ વાળાએ ગઈ તા.૨૪/૦૧ના રોજ ફ્યુચર રીફરેક્ટરીની બાજુમાં આવેલ અવાવરું જગ્યાએ કોઈ કારણસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









