શિક્ષણની સાથે રાષ્ટ્રભાવના પણ ઉજાગર થાય, વિધાર્થીઓ ભવિષ્યના એક જવાબદાર ભારતીય નાગરિક બને તેવા ઉમદા હેતુસર મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરુઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાન દ્વારા થઇ હતી. ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા આવકાર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય અતિથિ એવા પાયલબેન સોરીયા કે જેઓ ગુજરાત સરકારમાં નાયબ મામલતદાર કેડરના અધિકારી તરીકે કાર્યરત છે તથા પર્યાવરણવિદ અને પુસ્તક મિત્ર એવા ઘનશ્યામભાઈ ડાંગર હાજર રહ્યા હતા. આ તકે તેમના દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું .વિધાર્થીઓએ દેશભક્તિ ને લગતા વક્તવ્યો, નાટકો અને ગીતો રસપ્રદ અને છટાદાર શૈલીમાં રજુ કર્યા હતા.
ઉપરાંત જે વિધાર્થીઓએ કોલેજ અભ્યાસ દરમિયાન ખુબ જ પ્રતિષ્ઠિત કહી શકાય તેવી CA-FOUNDATION તથા CA-FINAL જેવી કારકિર્દીલક્ષી પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિધાર્થીઓ, વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ અને કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય કહી શકાય તેવા વિષય ACCOUNTANCY (નામા પધ્ધતિ) માં યુનિવર્સીટીકક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનવવા માટે કોલેજના તમામ સ્ટાફ, વિધાર્થીઓએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક મનહરભાઈ શુદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની સમાપન વિધિ કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા દ્વારા કરવામાં આવી હતી.









