મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ ૪.૦” બાળકોની નિર્દોષતા, શિક્ષકોની નિષ્ઠા અને માતા-પિતાની સક્રિય ભાગીદારી સાથે ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ખાસ કરીને પેરેન્ટ્સની મંચ પરની હાજરીએ કાર્યક્રમને વધુ યાદગાર અને ભાવનાત્મક બનાવ્યો હતો. નૃત્ય, સંગીત અને અભિનયથી સજ્જ આ કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ભારોભાર વખાણ્યો હતો.
મોરબીની નામાંકિત નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ ૪.૦” ઉત્સાહ, લાગણી અને પરિવારભાવના સુંદર સંગમ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. મહેમાનો, માતા-પિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમે બાળપણની નિર્દોષતા અને સંસ્કારસભર શિક્ષણનો જીવંત પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે તેમાં માત્ર નાનાં બાળકો નહીં પરંતુ તેઓના માતા-પિતાઓએ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. બાળક અને પેરેન્ટ એકસાથે મંચ પર જોવા મળતાં દ્રશ્યો અત્યંત ભાવનાત્મક અને યાદગાર બન્યા હતા. નાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલા નૃત્ય, સંગીત અને અભિનયમાં પેરેન્ટ્સની હાજરીએ દર્શકો પાસેથી ઉમળકાભરી તાલીઓ મેળવી હતી. મંચ પર બાળકોનો આત્મવિશ્વાસ અને પેરેન્ટ્સનો ઉત્સાહ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના સંસ્કારસભર અને પરિવારને જોડતા શૈક્ષણિક વાતાવરણનો જીવંત દાખલો બન્યો હતો.
આ પ્રસંગે શાળાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે, “જ્યારે માતા-પિતા શિક્ષણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને છે, ત્યારે બાળકનો આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસ અનેક ગણો વધે છે. ‘તરંગ ૪.૦’ એ બાળકો, પેરેન્ટ્સ અને શિક્ષકો વચ્ચેના સુંદર સમન્વયને દર્શાવ્યો છે.” તેમણે સમગ્ર સ્ટાફની નિષ્ઠા, આયોજન ક્ષમતા અને ટીમવર્કની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડિયા, ગ્રુપના સદસ્યો, મોરબી જીલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, સંચાલક યોગેશભાઈ ઘેટીયા તથા નક્ષત્ર હોસ્પિટલના ડોક્ટર મહેન્દ્રભાઈ ફેફર ઉપસ્થિત રહ્યા હતા.









