મોરબીની દીકરીને જયપુર સ્થિત સાસરે પતિ સહિત સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ મોરબી મહિલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં માવતરે રહેતા ઉર્વશીબેન સુનિલ શેવકાની ઉવ.૩૦ દ્વારા પતિ સુનિલ રાજકુમાર શેવકાની, સસરા રાજકુનાર ઇશ્વરદાસ શેવકાની, જેઠ દિલીપ રાજકુનાર શેવકાની તથા જેઠાણી હિર દિલીપ શેવકાની રહે. તમામ ૧૩૧ એ સંત માધવદાસ માર્ગ કવરનગર જયપુર રાજસ્થાન વાળા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ તા.૦૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ જયપુર (રાજસ્થાન) નિવાસી સુનિલ રાજકુમાર શેવકાની સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ શરૂઆતના થોડા મહિના સુખમય વિત્યા, પરંતુ ત્યારબાદ આરોપી પતિ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા નાની-નાની બાબતોમાં બોલાચાલી, કરિયાવર બાબતે મેણાટોણા તથા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અને ફરિયાદીના પતિને દારૂ પીવાની કુટેવ હોવા સાથે કામધંધો ન કરતા હોય, અને આ તમામ બાબતે વિરોધ કરતાં મારકૂટ કરાતી હતી. સાસરિયાઓ પતિને પ્રોત્સાહન આપી ફરીયાદીને “રહેવું હોય તો રહેજે, નહીં તો માવતરે જતી રહેજે” કહી ત્રાસ આપતા હતા. આ દરમિયાન ગત તા.૦૨ ઓક્ટો.૨૦૨૫ના રોજ થયેલી બોલાચાલી બાદ ફરીયાદીને જયપુરથી મોરબી માવતરે મોકલી દેવામાં આવી હતી. કરિયાવરમાં અપાયેલ ઘરેણાં અને સામાન પરત ન આપ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ માટે ફરિયાદી અને તેમના પિતા દ્વારા સમાધાનના તમામ પ્રયત્નો કરવા છતાં અંતે કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોરબી મહિલા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









