મોરબી જીલ્લામાં અલગ-અલગ પોલીસ મથકોમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા છે. જેમાં મોડપર પાસે અકસ્માતમાં યુવકનું મોત, વાંકાનેરમાં એસિડ પીવાથી પરિણીતાનું નિધન, માનસિક તાણમાં ગળેફાંસો, મોરબીમાં કારખાનામાં મશીન અકસ્માત અને વાંકાનેરના ગારીડા પાસે અજાણ્યા પુરુષનો ગળેફાંસા ખાઈ આપઘાત સહિતના બનાવમાં પાંચ વ્યક્તિ અકાળે મોતને ભેટ્યા છે. ત્યારે તમામ મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા નજીક અકસ્માતના બનાવમાં વિકાસ મુનેશભાઈ દિક્ષીત ઉવ.૨૬ રહે. વાંકાનેર ગુ.હા. બોર્ડ વાળા વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તાલુકા પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ કાર્યવાહી કરી અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે.
બીજા અપમૃત્યુના બનાવની મળતી વિગતો મુજબ, રૂપલબેન અવધભાઈ સરૈયા ઉવ.૨૫ રહે. ભરવાડપરા વાંકાનેર વાળાએ કોઈ અજાણ્યા કારણસર એસિડ પી ગયા હતા. જેથી તેણીને ઝાડા-ઉલ્ટી થતા તેમની તબિયત બગડી હતી. ત્યારે પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
જ્યારે અપમૃત્યુના ત્રીજો બનાવ વાંકાનેર સિટી પોલીસ મથકમાં નોંધાયો છે, જેમાં મૃતક શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા ઉવ.૫૦ રહે. દિવાનપરા પતાળીયા રોડ વાંકાનેર વાળા માનસિક ટેંશનમાં હોવાથી તેઓએ પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં પંખા સાથે કાપડની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. હાલ વાંકાનેર સીટી પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં વિજયભાઈ ભાનુશંકર શીલુ ઉવ.૫૧ રહે. પટેલ કોલોની પીજી કલોકની પાછળ મોરબી વાળા મોરબીના રાજકોટ મોરબી હાઇવે ઉપર શ્રીજી એસ્ટેડમાં આવેલ ‘શિવશંકર પેકેજિંગ’ નામના કારખાનામાં ભાગીદાર હતા. ત્યારે ગઈકાલ તા.૨૪/૦૨ના રોજ તેઓ કારખાનામાં સ્લોટર મશીન રિપેર અથવા સાફ સફાઈ દરમિયાન દોરડાથી મશીન ઊંચું કરતાં હતા, ત્યારે કોઈ કારણસર મશીનની અંદર આવી જતા બ્લેડ ગળાના ભાગે વાગતાં ગંભીર ઇજા પહોંચી અને ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જેથી પોલીસે મૃત્યુના બનાવ અંગે પાર્થભાઈ મહેતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
આ સિવાય પાંચમા અપમૃત્યુના બનાવમાં વાંકાનેરના ગારીડા ગામ હાઈવે રોડ પર તીર્થ હોટલ સામે ખોડિયાર માતાની ભેખડ પાસે આશરે ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ લીમડાના ઝાડ સાથે ચાદર વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક ખેડૂત દ્વારા જાણ થતાં પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી મૃતકની ઓળખ અંગે તપાસ ચલાવી છે.









