વાંકાનેર સીટી પોલીસે પ્રોહીબીશન ગુનાઓમાં સંડોવાયેલા બે બુટલેગરો સામે પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરી ડિટેઇન કર્યા છે. પાસા વોરંટના આધારે બંન્નેને ઝડપી લઈ એકને ભાવનગર મધ્યસ્થ જેલ અને એકને જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ દ્વારા જીલ્લામાં પ્રોહીબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પાસા જેવા અટકાયતી પગલાં લેવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. હતા. જેથી વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ એચ.એ. જાડેજા દ્વારા પ્રોહીબીશન ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તથા મોરબી પોલીસ અધિક્ષક મારફતે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ આરોપી દિપાલ મુકેશભાઇ સંખેસરીયા ઉવ.૨૨ રહે. હરસિદ્ધિ હોટલ પાસે વાંકાનેર અને આરોપી ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી (બાવાજી), ઉવ.૨૩ રહે. કેરાળા તા. વાંકાનેર વાળા વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ પીઆઇ તથા વાંકાનેર સીટી પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે બંન્ને ઇસમોને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપાલ સંખેસરીયાને ભાવનગર મધ્યસ્થ જેલ તથા ઇન્દ્રજીત ગોસ્વામીને જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, એ.એસ.આઇ જનકભાઇ મોરવાડીયા, પો.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, રવિભાઇ લાવડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ્ટેબલ રાણીંગભાઇ ખવડ, વિપુલભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા તથા જગદીશભાઇ રંગપરા સહિતના જોડાયેલા હતા.









