પરિવાર સાથે પિતા તરીકે રહેતા નરાધમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શારીરિક શોષણ કર્યું.
મોરબી શહેરમાં માતાના પ્રેમીએ ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી બે થી ત્રણ વખત કિશોરીનો દેહ ચુથ્યો હોવાના ચકચારી બનાવની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભોગ બનનારની માતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં માતા સાથે પતિની જેમ રહેતા આરોપી આશિષભાઈ રમેશભાઈ ભંખોડીયા ઉવ.૩૫ રહે.જવાહર સોસાયટી શેરી નં.૩ ભડિયાદ કાંટાની પાછળ મોરબી-૨ વાળાએ તેની સગીર વયની દીકરી સમાન કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યો હોવાના આક્ષેપ સાથે પીડિતાની માતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપી છેલ્લા એક વર્ષથી પરિવાર સાથે રહેતો હતો. અને પરિવારનો વિશ્વાસ જીતી બાળકોની સંભાળ લેવાની જવાબદારી સ્વીકારવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન આરોપીએ ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. સાથે જ સગીરાના ફોટોગ્રાફ લઈ જો કોઈને વાત કરશો તો ફોટા વાયરલ કરી દેશે અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનારની માતાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(એમ), ૩૫૧(૩) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









