ગાંધીનગર ખાતે વિધાનસભા ભવનમાં મોરબીના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરિયા તથા મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હાલ ઈરાન–ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સિરામિક ઉદ્યોગને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારાસભ્ય દુલ્લભજીભાઇ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ઈમ્પોર્ટેડ ગેસ તેમજ એક્સપોર્ટ સંબંધિત પ્રશ્નોને લઈને સિરામિક ઉદ્યોગમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
સાથે જ સિરામિક ઉદ્યોગને કેવી રીતે રાહત અને સહાય મળી શકે તે અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે યુદ્ધના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર સિરામિક ઉદ્યોગ સાથે હંમેશા ઉભી રહેશે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી. મુખ્યમંત્રીના આ આશ્વાસન બદલ સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત એસોસિએશનના પ્રતિનિધિમંડળે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ તથા ગુજરાત ગેસના એમ.ડી. અવંતિકાસિંહ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો તથા ગેસ પુરવઠા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી પણ ઉદ્યોગ સાથે રહી વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગના વિકાસ અને પ્રગતિ માટે જરૂરી સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના સહયોગ બદલ મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો.










