ટંકારા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં ગાઢ વાદળો ગોરંભાયા બાદ જોરદાર પવન સાથે ભારે ઝાપટા વરસાદ પડ્યો હતો. ટંકારા સહિતના ગામોમાં આ કમોસમી માવઠાએ ખેતરોને પાણી પાણી કરી નાખ્યા હતા.
આ અણધાર્યા વરસાદે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. હાલમાં રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે. ખેતરોમાં ઘઉં (અન્નના રાજા), જીરું, ચણા સહિતના પાક તૈયાર થઈને લણણીની તૈયારીમાં ઉભા છે. આ સમયે પડેલા જોરદાર માવઠાના કારણે પાક પલળી જવાની, ધાન્ય બગડવાની અને ગુણવત્તા ઘટવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતોના મતે, જો આગામી દિવસોમાં વાતાવરણ ફરી ગોરંભાયેલું રહેશે અને વધુ વરસાદ પડશે તો તેમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે. ખાસ કરીને ઘઉં અને જીરું જેવા મહત્વના પાકને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.









