મોરબીમાં આવનારી જનગણના-2027ને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા મહત્વપૂર્ણ રજુઆત કરવામાં આવી છે. જેમાં ગણતરીદારોની નિમણૂંક અંગે કેટલીક માંગણીઓ ઉઠાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર તેમજ મોરબી અને હળવદના મામલતદારોને લેખિત રજુઆત કરવામાં આવી છે. આગામી 19 એપ્રિલથી વસ્તીગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ગણતરીદારોના હુકમો કાઢતી વખતે શિક્ષકોને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં લેવા માંગ કરવામાં આવી છે. મહાસંઘે રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે અગાઉ મતદારયાદી સુધારણા કામગીરી કરેલા બીએલઓને ફરી ગણતરીદાર તરીકે ન લેવાં જોઈએ. સાથે જ મોટી ઉંમરના અથવા તબીબી તકલીફ ધરાવતા શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત રાખવા પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ વિભાગમાંથી સપ્રમાણમાં કર્મચારીઓની નિમણૂંક, શિક્ષકોને પોતાના ફરજના વિસ્તાર અથવા રહેઠાણ નજીક જ જવાબદારી સોંપવી અને મહિલા શિક્ષકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રાખવા જેવી મહત્વપૂર્ણ માંગણીઓ પણ કરવામાં આવી છે. સાથે જ જો કોઈ શિક્ષકના પૂર્વનિયોજિત કાર્યક્રમો કે આકસ્મિક પરિસ્થિતિ હોય તો હુકમોમાં જરૂરી ફેરફાર કરવાની પણ અપીલ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ ચાર્જ અધિકારીઓને આ માંગણીઓ ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.









