ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત, વર્ષોથી વસતા ગરીબ પરિવારોને સનદ આપવાની માંગ.
મોરબી જીલ્લામાં વર્ષોથી ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને મકાન રેગ્યુલાઈઝ કરી સનદ આપવામાં આવે તેવી માંગ સાથે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા ગરીબોને સ્થાયી આવાસ આપવાથી તેમના જીવનમાં સ્થિરતા આવશે તેવી રજૂઆતમાં નોંધાયું છે.
મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિવિધ આવાસ યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે, પરંતુ મોરબી જીલ્લામાં ઘણા પરિવારો છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષથી ઝુપડપટ્ટીમાં જીવન વિતાવી રહ્યા છે. રજુઆતમાં જણાવાયું છે કે મોરબીમાં મચ્છુ નદીના કિનારે, વેજીટેબલ વિસ્તાર, ભીમસર, સાવજની પાર, પંચાસર રોડ, લીલાપર રોડ સહિતના વિસ્તારોમાં અનેક ગરીબ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે. આ જગ્યાઓમાં સરકારનો કોઈ ખાસ ઉપયોગ નથી, ત્યારે આવા સ્થળોએ વસતા ગરીબોને તેમના મકાનો રેગ્યુલાઈઝ કરી સનદ આપવી જોઈએ.
વધુમાં જણાવાયું છે કે ગુજરાતમાં ગરીબી એક મહત્વનો પ્રશ્ન છે અને અગાઉ સુરતમાં ઝુપડપટ્ટીઓને રેગ્યુલાઈઝ કરવાના ઉદાહરણો પણ જોવા મળ્યા છે. મોરબીમાં પણ આવી જ પહેલ કરવામાં આવે તો ગરીબ પરિવારોને સ્થિરતા મળશે અને આવાસ યોજનાઓનો બોજ પણ ઘટશે. હાલ આવા પરિવારો માનસિક તાણ હેઠળ જીવી રહ્યા છે અને તેમને સતત ભય રહે છે કે કોઈ પણ સમયે તેઓને સ્થળાંતર કરાવવામાં આવી શકે છે. છતાં પણ તેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેથી આવા પરિવારોને તેમની હાલની જગ્યાએ જ કાચા-પાકા મકાનો રેગ્યુલાઈઝ કરી આપવામાં આવે તો તેમને શાંતિપૂર્ણ જીવન જીવવાની તક મળશે. જેથી મોરબી જીલ્લામાં ઝુપડપટ્ટી અને કાચા-પાકા મકાનોનો સર્વે કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી સાથે રજૂઆત કરવામાં આવી છે.









