મોરબી: શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક માર્ગો પર મોટા ખાડા પડી જવા ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ગંદકીની સમસ્યા ઉભી થઈ છે. વરસાદનું જોર ઓછું થતાં જ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને પૂર્વવત સ્થિતિમાં લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજે વહેલી સવારથી મનપા કમિશ્નર, મેયર, ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.
તેમણે માર્ગોની સ્થિતિ, પાણી ભરાયેલા વિસ્તારો અને સફાઈ કામગીરીનું સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓને રસ્તાઓ પર પડેલા ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક, ગંદકીની સફાઈ, પાણીના નિકાલ સહિતની કામગીરી ઝડપથી હાથ ધરવા અને પ્રાથમિકતાના ધોરણે વહેલી તકે પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ, રોડ રિપેરિંગ અને જરૂરી જાળવણીની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમજ વરસાદ બાદ ઊભી થયેલી સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવી નાગરિકોને રાહત મળે તે માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોવાનું મનપા તંત્રએ જણાવ્યું છે.






