વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે પરિણીતાને પતિ સહિત સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી હેરાનગતિથી કંટાળી પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા તથા કાકાજી-કાકીજી સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના તીથવા ગામની દીકરી અને પાંચદ્વારકા ગામે સાસરું ધરાવતા નુસરતબેન જીયાઉદીનભાઈ બાદી ઉવ.૩૬એ મોરબી મહિલા પોલીસ મથકે આરોપી જીયાઉદીનભાઈ અબ્દુલભાઇ બાદી(પતિ), અબ્દુલભાઇ મામદભાઈ બાદી(સસરા), રોશનબેન અબ્દુલભાઇ બાદી(સાસુ), અલીભાઈ માનંદભાઈ બાદી(કાકાજી) તથા જેનમબેન અલીભાઈ બાદી બધા રહે. પાંચ દ્વારકા તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, લગ્ન બાદ શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી સાસરિયાઓએ સારું વર્તન કર્યું બાદ સાસુ-સસરા, પતિ તેમજ કાકાજી અને કાકીજી દ્વારા નાની નાની બાબતોમાં ત્રાસ આપવામાં આવતો હતો. ઘરકામ બાબતે વારંવાર મેણાટોણા મારવા, સગાં-સંબંધીઓ પાસે જવા નહિ દેવા, પતિને ખોટી ચડામણી કરીને શારીરિક તથા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી. અનેક વખત સમાધાન કરીને સાસરિયામાં પાછી ગઈ હોવા છતાં ત્રાસ યથાવત રહ્યો હતો. ત્યારે બે મહિના અગાઉ થયેલા બનાવમાં સસરાએ મહિલાથી દિકરાને છીનવી લીધો હતો, ત્યારબાદ મહિલાને માવતરે જવું પડ્યું હતું અને હાલ તે ત્યાં જ રહે છે. હાલ મોરબી મહિલા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૮૫ તથા ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









