જામનગરથી લગ્ન ખરીદી કરી પરત ફરતા પરિવાર પર આફત, બેદરકારીથી ચાલતી રીક્ષાએ સર્જ્યો અકસ્માત
ટંકારાના હીરાપર ગામ નજીક ગંભીર અકસ્માતમાં બે મહિલાના મોત અને છ લોકો ઘાયલ થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. દીકરીના લગ્નની ખરીદી કરી મોરબી શહેરના પરિવારના આંઠ જેટલા સભ્યો જામનગરથી પરત મોરબી આવતા હતા. ત્યારે રીક્ષા ચાલકે પુર ઝડપે અને બેદરકારીથી રીક્ષા ચલાવી આવી આગળ જઈ રહેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રીક્ષા અથડાતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે મહિલાના મોત નિપજતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલ ટંકારા પોલીસે આરોપી રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિશીપરા વિસ્તારમાં રહેતા ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી ઉવ.૩૫ એ તેમના મોટાબાપુના દીકરા આરોપી રીક્ષા ચાલક ગફુરભાઈ સીદીકભાઈ જામ રહે.મોરબી વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે ભત્રીજી રેશ્માબેનના લગ્ન માટે ખરીદી કરવા જામનગર ગયા હતા. ખરીદી પૂર્ણ કરીને સાંજે તેમના કુટુંબી ભાઈ ગફુરભાઈની રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૧૨૯૬માં મોરબી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે ટંકારાના હીરાપર ગામ નજીક પહોંચતા રીક્ષા ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે પોતાની રીક્ષા ચલાવતા આગળ જતી ટ્રેક્ટર ટ્રોલીના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષામાં બેઠેલા તમામ લોકો દબાઈ ગયા હતા અને સ્થળ પર અફરાતફરી મચી ગયી હતી. અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભત્રીજી રેશ્માબેન અને ફરિયાદીના મોટા બહેન જીન્નતબેનને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે ગફુરભાઈને થાપાના ભાગે ફ્રેકચર તથા અન્ય લોકોને નાના-મોટી ઈજાઓ પહોંચી હતી, તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી તેમજ રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આરોપી રીક્ષા ચાલક ગફુરભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









