મોરબી શહેરમાં હોમ લોનનો હપ્તો મોડો ભરાતા ફાઇનાન્સ કંપનીના કર્મચારી દ્વારા વેપારીને ગાળો આપી ઢોર માર માર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સરદાર બાગ નજીક બોલાવી બે આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ દ્વારા ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ગ્રાહકોને કરવામાં આવતા ત્રાસ અંગે આરબીઆઈ ગવર્નરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરની ઘટના બાદ ફરી એકવાર આવી ઉઘરાણી પદ્ધતિઓ સામે પ્રશ્નો ઊભા થયા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રવાપર શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા વેપારી મેહુલકુમાર પરસોત્તમભાઈ ધોરીયાણી ઉવ.૩૦એ હિન્દુજા ફાઇનાન્સ બેંકમાં નોકરી કરતા આરોપી શીવુભા દરબાર અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી જાહેર કર્યું કે, મેહુલભાઈએ હિન્દુજા ફાયનાન્સ બેંકમાંથી મકાન લોન લીધી હતી. જે લોનનો હપ્તો ભરવામાં મોડું થતા ગઈકાલ તા. ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે બેંકના કર્મચારી શિવુભા દરબારે ફરીયાદીને ફોન પર ગાળો આપી સરદાર બાગ સામે આવેલ બંધ પેટ્રોલ પંપ પાસે બોલાવ્યા હતા.
જ્યાં પહોંચતા આરોપી શિવુભા દરબાર તથા એક અજાણ્યા વ્યક્તિએ ફરીયાદી સાથે ગાળો બોલી બેફામ ઢીકાપાટુનો મુઢમાર મારવા લાગ્યા હતા. આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનાર વેપારીની ફરિયાદને પગલે પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









