વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ સેનેટરી વેર કારખાનાના લેબર ક્વાર્ટરના રૂમ સામે પાડોશી દ્વારા બાળકોને શૌચ કરાવતા હોવા અંગે મનાઈ કરતા સારું નહીં લાગતા દંપતી તથા તેના બન્ને દીકરાઓ સાથે બોલાચાલી ઝઘડો કરી છ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર આવેલ સ્નોબ સેનિટરીવેર કારખાનાની લેબર કોલોનીમાં સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો હતો. આ અંગે ફરિયાદી જોશનાબેન ભીખાભાઈ ચાવડા ઉવ.૩૯ હાલ રહે.કંપન8ના લેબર ક્વાર્ટરમાં મૂળ વાંકાનેર તાલુકાના લુણસર ગામના રહેવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, પડોશમાં રહેતા મનીષાબેન અને તેના પતિ રાહુલભાઈ તેમના નાના બાળકને વારંવાર ફરિયાદીના રૂમ સામે શૌચ માટે બેસાડતા હતા. આ બાબતે મનાઈ કરતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાબતે આરોપી રાહુલભાઈએ લાકડું લઈ હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીના દીકરા તરૂણને કાનના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ અન્ય ચાર શખ્સો રોહિતભાઈ કોળી, ગોપાલભાઈ કોળી, સાગરભાઈ કોળી અને દિનેશભાઇ કોળી તમામ રહે. સ્નોબ સેનેટરીના લેબર ક્વાર્ટર વાળાએ પણ ફરિયાદી પરિવાર સાથે ઝપાઝપી કરી મારા મારી કરવામાં આવી હતી. હુમલામાં ફરિયાદી મહિલાને પેટમાં ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ, એટ્રોસિટી એક્ટ તેમજ જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





