હળવદ ખાતે મોરબી જિલ્લા ભાજપના જાગૃત અને સેવાભાવી મહામંત્રી શ્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આયોજિત ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સેવા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રગટ કરતો ઐતિહાસિક કાર્યક્રમ બની રહ્યો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે પણ કાર્યકર્તાઓ, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું, જેના પરિણામે કુલ ૩૨૨ યુનિટ રક્તનું અભૂતપૂર્વ સંગ્રહ નોંધાયું હતું. રક્તદાતાઓએ દાતારી અને માનવતાની જીવંત મિસાલ ઉભી કરી સમાજને પ્રેરિત કર્યો હતો.
આ સેવા યજ્ઞમાં વિશ્વ હિન્દુ પરિષદ (હળવદ શહેર/ગ્રામ્ય), યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ હળવદ, છોટાકાશી હળવદ યુવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, દિલ સે ફાઉન્ડેશન, HPL ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ તથા આઈ શ્રી ખોડિયાર રામદેવ રામામંડળ (ગોરી દરવાજા) જેવી વિવિધ સામાજિક સંસ્થાઓએ ઉમળકાભેર સહયોગ આપ્યો હતો.
કેમ્પ દરમિયાન એકત્રિત થયેલ રક્તનો ઉપયોગ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ મોરબી, શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ (ટીબી હોસ્પિટલ, સુરેન્દ્રનગર), શ્રી રામ બ્લડ સેન્ટર ધ્રાંગધ્રા તથા શ્રી સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે દર્દીઓના ઉપચાર માટે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પૂજ્ય દીપકદાશજી મહારાજ, પ્રભુચરણદાશજી, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પ્રદેશ ભાજપ ના કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા , ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, બીપીનભાઈ દવે સહિત રાજકીય અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી કાર્યકરો અને રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા
આ પ્રસંગે વિશેષ રૂપે બહોળી સંખ્યામાં દર્દી ને લાઈવ જરૂર હોઈ તે સમયે રક્તદાન કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટના નિતિનભાઈ ભટાસણા (૧૯૭ વખત), સુરેન્દ્રનગરના રશ્મિનભાઈ મહેતા (એક જ કિડની હોવા છતાં ૧૦૦ વખત), મોરબીના ગૌતમભાઈ સોલંકી (૧૨૩ વખત), કિશોરભાઈ એરવાડિયા (૫૭ વખત), અક્ષયભાઈ અગ્રાવત (૫૧ વખત) તથા ધર્મેશભાઈ શાહ (૪૪ વખત) જેવા મહાન રક્તદાતાઓને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી તપનભાઈ દવે દ્વારા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને દરેક કાર્યકર્તા તથા નાગરિકે સમાજ સેવા માટે આગળ આવી આવા કાર્યોમાં જોડાવું જોઈએ. તેમના આ સંદેશે ઉપસ્થિત સૌમાં નવી ઊર્જા અને પ્રેરણા ભરી હતી.
જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ શુભચિંતકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને રક્તદાન કરનાર ૩૨૨ યુવા શક્તિને નમન સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દ્વારા સ્પષ્ટ સંદેશ મળ્યો કે ભાજપ પરિવાર માત્ર રાજકીય સંગઠન નહીં પરંતુ સેવા અને સમાજ કલ્યાણ માટે સમર્પિત એક સશક્ત પરિવાર છે. ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો દ્વારા જનસેવા ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.





