વીજલાઈન મુદ્દે ખેડૂત આગેવાનોનો સરકાર સામે આક્રોશ, ૧૦ દિવસનું અલ્ટીમેટમ.
મોરબી જીલ્લામાં અદાણીની 765 KV વીજલાઈન માટે ખેડૂતોને અપાયેલી નોટીસોને લઈને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિએ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ ૧૦ દિવસમાં નોટીસો રદ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
મોરબી જીલ્લામાં સ્થાનિક ચૂંટણી પૂર્ણ થયા બાદ અદાણીની 765 KV વીજલાઈન પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને અપાયેલી નોટીસોના મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો છે. જેમાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ મુખ્યમંત્રીને સંબોધીને કડક શબ્દોમાં રજૂઆત કરી છે કે ખેડૂતોની સંમતિ વગર જમીન પર કોઈ કાર્યવાહી સ્વીકારવામાં નહીં આવે. મહેશ રાજકોટીયાએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોની લેખિત મંજૂરી વગર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે. તેમણે માંગ કરી છે કે મોરબી જીલ્લામાં ખેડૂતોને આપવામાં આવેલી તમામ નોટીસો તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને હક્ક આપવામાં આવે.
આ સાથે ખેડૂત સંગઠને ચેતવણી આપી છે કે જો ૧૦ દિવસમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો મોરબી કલેક્ટર કચેરી ખાતે મોટા પાયે ઘેરાવ, આમરણ ઉપવાસ તેમજ ગાંધીનગર ખાતે ખેડૂત મહાકૂચ યોજવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે મોરબી જીલ્લામાં રાજકીય અને ખેડૂત વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.





