વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે માળીયા તાલુકાના નાના ભેલા ગામે ‘નમોવન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય સંવર્ધન કરવા માટે ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
માળીયા તાલુકાના નાના ભેલા ગામે યોજાયેલ ‘નમોવન’ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું કે, વધતા પ્રદૂષણ અને બદલાતા હવામાન વચ્ચે વૃક્ષારોપણ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. માત્ર વૃક્ષો વાવવા પૂરતું નથી, પરંતુ તેના જતન અને સંવર્ધન માટે પણ સૌએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન તાલુકા પ્રમુખ રાજેશભાઈ હુંબલ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય મનીષભાઈ કાંજીયા, ભાજપ અગ્રણી અશ્વિનસિંહ મેઘુભા પરમાર, નાના બેલા ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ કાવર તેમજ ગ્રામ અગ્રણી હેમંતભાઈ કાવર સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે હરિયાળા અને સ્વચ્છ સમાજના નિર્માણ માટે સૌને સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.






