નર્સરી ચોકડી પાસે સર્જાયેલા અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ફરાર, ૭૦ વર્ષીય ખેડૂતે હોસ્પિટલમાં દમ તોડ્યો.
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી નજીક સ્કોર્પિયો કારે મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક ૭૦ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતની મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના દાધોળીયા ગામે રહેતા બચુભાઈ ટપુભાઈ પ્રજાપતિ ઉવ.૭૦ ગત તા.૧૨ જૂનના રોજ પોતાના મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-એસી-૯૯૭૪ લઈને વાંકાનેરથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન બપોરના સમયે નર્સરી ચોકડી નજીક પાછળથી આવેલ સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૩૬-એજે-૪૪૫૦ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં બચુભાઈ રોડ પર પટકાતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ સ્કોર્પિયો ચાલક સ્થળ પરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેઓને હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે બનાવ અંગે મૃતકના પુત્ર ઘનશ્યામભાઈ બચુભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.






