જડેશ્વર મંદિરે દર્શન કરવા જતા સમયે અકસ્માત સર્જાયો, ત્રણ વર્ષના માસૂમ આયરવ અને કાકા દુર્ગેશનું મોત, એક યુવક ઈજાગ્રસ્ત.
વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામ નજીક સામેથી પૂરઝડપે આવેલી કારે મોટરસાયકલને હડફેટે લેતા ત્રણ વર્ષના બાળક અને તેના કાકાનું મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના મજૂર પરિવારમાં આ દુર્ઘટનાથી શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલ વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના રાતીદેવરી ગામ નજીક રામદેવપીર મંદિર પાસે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત નીપજતા અરેરાટી ફેલાઈ છે. જેમાં ફરિયાદી સુનીલ લખનલાલ વિશ્વકર્મા રહે. વાંકાનેર સીટી સ્ટેશન રીડ ખીજડીયા એગ્રીકલ્ચરના કારખાનામાં મ રહે. મુહલી બુજુર્ગ જી.સાગર મધ્યપ્રદેશ વાળાની ફરિયાદ મુજબ, ફરિયાદી પરિવારજનો અને સંબંધીઓ સાથે જડેશ્વર મંદિરના દર્શન માટે જુદા જુદા ત્રણ મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના ભાઈ દુર્ગેશ વિશ્વકર્મા મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-એફએ-૩૮૮૮ ઉપર ભત્રીજા આયરવ ઉર્ફે બસંત ઉવ.૦૩ અને આકાશ વિશ્વકર્માને બેસાડી આગળ નીકળી ગયા હતા.
ત્યારે રાતીદેવરી ગામથી આગળ પહોંચતા સામેથી આવેલી કાર રજી.નં. જીજે-૨૧-એએચ-૩૪૨૧ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણ વર્ષના આયરવને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાના થોડા સમયમાં જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ બનેલા દુર્ગેશ વિશ્વકર્માએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે આકાશ વિશ્વકર્માને સામાન્ય ઈજા પહોંચી હતી. મૂળ મધ્યપ્રદેશના અને હાલ વાંકાનેરમાં મજૂરી કામ કરતા વિશ્વકર્મા પરિવારમાં એક જ અકસ્માતમાં પુત્ર અને ભાઈના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની હેઠળ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






