મોરબીમાં જીઆઈડીસી, છાત્રાલય રોડ અને શનાળા મેઈન રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણીના કારણે સ્થાનિકો અને વેપારીઓ પરેશાન બન્યા છે. ત્યારે કોંગ્રેસ સમિતિના પૂર્વ આગેવાન રમેશ રબારીએ મહાનગરપાલિકા સામે આક્ષેપો કરી ૨૨ દિવસમાં પાથરાયેલી ૧ કરોડ રૂપિયાની કપચી કયા વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી છે.
મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ આગેવાન રમેશ રબારીએ મહાનગરપાલિકા ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે મેયરના પોતાના વોર્ડ નંબર-૮માં જ ગટરના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે, જે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. વરસાદ ન હોવા છતાં જીઆઈડીસી વિસ્તાર તેમજ પટેલ કન્યા છાત્રાલય તરફ જતાં મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી સતત છલકાઈ રહ્યા છે. ગટરની નિયમિત સફાઈ ન થવાના કારણે ગંદકી ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, સ્થાનિક રહીશો અને સવારે-સાંજે વોક માટે નીકળતા સિનિયર સિટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત શનાળા મેઈન રોડ પર શ્રીજી રેસ્ટોરન્ટથી ચેતક પંચર સુધીના વિસ્તારમાં પણ ગટરના પાણી ભરાઈ રહેતા વેપારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ તાત્કાલિક ગટર સફાઈ અને કાયમી ઉકેલ લાવવાની પણ માંગ કરવામાં આવી છે.
રમેશભાઈ રબારીએ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં કપચી પાથરી હોવાના દાવા ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમને જણાવ્યું કે, મહાપાલિકાએ છેલ્લા ૨૨ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૧ કરોડ રૂપિયાની કપચી પાથરવાનો દાવો કર્યો હતો, પરંતુ વીસીપરા રોડ, લાતી પ્લોટ, કાલિકા પ્લોટ અને દાઉદી પ્લોટ સહિતના અનેક રસ્તાઓની હાલત હજુ પણ દયનીય છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે પારદર્શિતાની માંગ સાથે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ જાહેર કરવું જોઈએ કે ૧ કરોડ રૂપિયાની કપચી કયા વોર્ડ અને કયા રસ્તાઓ પર પાથરવામાં આવી છે. ઉપરાંત કપચી કયા સ્ટોનમાંથી ખરીદવામાં આવી, કેટલા ટન માલની ખરીદી કરવામાં આવી અને તેનો પ્રતિ ટન કેટલો ભાવ ચૂકવવામાં આવ્યો તેની વિગત પણ જાહેર કરવામાં આવે જેથી નાગરિકોને વાસ્તવિક માહિતી મળી શકે તેમજ વિકાસના દાવાઓને પારદર્શક બનાવે તેવી માંગ સાથે નાગરિકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની અપીલ કરી છે.






