સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા વિશેષ અભિયાન: સ્થળ પર જ અરજીઓનો નિકાલ કરાયો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદારબાગ નજીકના કમ્યુનિટી હોલ અને વેજીટેબલ રોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિર ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમાં વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ સ્વીકારી સ્થળ પર જ કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.
રાજ્ય સરકારના લોકકલ્યાણકારી અભિગમને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું બે અલગ-અલગ સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ શિબિર સરદારબાગ પાસે આવેલા કમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી, જ્યારે બીજી શિબિર મોરબી-૨ના વેજીટેબલ રોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાઈ હતી. કાર્યક્રમમાં રાજ્યમંત્રી, મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ સંબંધિત વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જન કલ્યાણ શિબિર અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધારકાર્ડ સુધારા, જન્મ પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી કાર્ડ, ઘરેલું વીજ જોડાણ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, બસ કન્સેશન પાસ તેમજ સારવાર સહાય સહિતની વિવિધ સરકારી યોજનાઓ માટે અરજીઓ સ્વીકારવાની અને સ્થળ પર જ શક્ય તેટલી કામગીરી પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શિબિરમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમનું સફળ અને પારદર્શક આયોજન સુનિશ્ચિત કરવા મહાનગરપાલિકાના સ્ટાફ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલનપૂર્વક કામગીરી કરી હતી.






