અલગ સૌરાષ્ટ્ર રાજ્યની વર્ષો જૂની માંગને લઈને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર વિસ્તાર આર્થિક, ઔદ્યોગિક અને વેપારી દૃષ્ટિએ મજબૂત હોવા છતાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે, જેના નિરાકરણ માટે અલગ રાજ્યની રચના જરૂરી બની છે.
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆતમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે, માત્ર મોરબીનો સિરામિક ઉદ્યોગ જ હજારો કરોડ રૂપિયાનો ટેક્સ ભરે છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, ધોરાજી સહિતના શહેરોમાં પણ મોટા પાયે ઉદ્યોગો કાર્યરત છે અને રાજ્યના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. મંડળના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકીય, ઔદ્યોગિક, શિક્ષણ, રોજગાર, કારીગરો અને વિદ્યાર્થીઓને લગતા અનેક પ્રશ્નો છે. હાલમાં મોટાભાગના વહીવટી કામો માટે ગાંધીનગર સુધી જવું પડતું હોવાથી સમય, ખર્ચ અને શક્તિનો વ્યય થાય છે. જો અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવે તો સ્થાનિક સ્તરે જ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ શક્ય બનશે. રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂતકાળમાં ઢેબરભાઈના સમયમાં અલગ સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં હતું અને નાના રાજ્યમાં વહીવટ વધુ અસરકારક રીતે થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં નવા જિલ્લાઓ અને તાલુકાઓની રચનાથી લોકોને રાહત મળી છે, ત્યારે હવે અલગ સૌરાષ્ટ્ર રાજ્યની માંગ પર પણ ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર હોવાનું જણાવાયું છે. ગ્રાહક સુરક્ષા મંડળે વડાપ્રધાનને સંબોધીને જણાવ્યું છે કે વિકસિત ભારતના સંકલ્પ વચ્ચે સૌરાષ્ટ્રની વર્ષો જૂની લાગણી અને માંગને માન આપી અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળશે. અલગ સૌરાષ્ટ્ર રાજ્યનો મુદ્દો સમયાંતરે ચર્ચામાં આવતો રહ્યો છે. હવે મોરબીમાંથી ઉઠેલી આ રજૂઆત બાદ આ મુદ્દો ફરી એકવાર રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.






