મોરબી તાલુકાના જેતપર ગામે વીજલાઇન વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ પર બેઠેલા એક ખેડૂતની તબિયત અચાનક બગડતા ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, જેતપર ગામના રહેવાસી રામજીભાઈ નાનજીભાઈ ભાડજા ગઈકાલથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસના કારણે તેમની તબિયત લથડતા સ્થળ પર હાજર ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક તબીબી મદદ માટે દોડધામ કરી હતી.તબિયત વધુ બગડતા રામજીભાઈને સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વીજલાઇન વળતર મુદ્દે જેતપર ગામના ખેડૂતો લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે અને અગાઉ પણ આ મુદ્દે ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. હાલ ઉપવાસી ખેડૂતની તબિયત અંગે તબીબો દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે બીજી તરફ ખેડૂતો પોતાની માંગણીઓ અંગે સરકાર અને તંત્ર તરફથી યોગ્ય નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે.






