માળિયા મિયાણા શહેરમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મુસ્લિમ આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના બાળકોનું શિક્ષણ સ્તર કેવી રીતે ઊંચું લાવી શકાય અને વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ કેવી રીતે મળી રહે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
માળિયામાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા મુસ્લિમ બિરાદરોની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જોશી પ્રાઈવેટ હાઈસ્કૂલ અને માસૂમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સંચાલકોને પડતી વિવિધ મુશ્કેલીઓ, શિક્ષકોની અછત અને શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારા અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ માટે માળિયા શહેરમાં નવી શાળા ઈમારતના નિર્માણ સહિતના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આગેવાનોએ આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે વ્યાપક જનજાગૃતિ લાવી **“સો ટકા શિક્ષિત માળિયા”**ના સંકલ્પ સાથે આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં મિયાણા સમાજના આગેવાનો, સુન્ની મુસ્લિમ જમાત, અલ માસૂમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રતિનિધિઓ, વિવિધ પક્ષોના નગરપાલિકા સભ્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષિત અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.






