૫૦ ગૌમાતાના જતન અને સરકારી સહાય સાથે હળદર-શેરડી સહીતના પાકનું મૂલ્યવર્ધન કરી મેળવી સમૃદ્ધિ.
“સરકાર તરફથી મળેલી રૂ. ૧ લાખની ટેન્ક-પંપ સહિતની સહાયથી કૃષિ કાર્ય બન્યું ઝડપી અને નફાકારક” : પ્રગતિશીલ ખેડૂત હસમુખભાઈ.
મોરબી જીલ્લાના નારણકા ગામના પ્રગતિશીલ ખેડૂત હસમુખભાઈ છગનભાઈ કારોલિયાએ રાસાયણિક ખેતી છોડીને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા હસમુખભાઈ પોતાના ફાર્મ ઉપર ૫૦ જેટલી ગૌમાતાનું જતન કરી રહ્યા છે. તેઓ આ ગૌધનના છાણ અને ગૌમૂત્રના પવિત્ર સમન્વયથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા પ્રાકૃતિક કૃષિના ઘટકો જાતે તૈયાર કરીને પોતાની જમીનમાં વિવિધ પાક લઈ રહ્યા છે.
હાલમાં તેમણે પોતાના ખેતરમાં હળદર અને શેરડીનું વાવેતર કર્યું છે, એટલું જ નહીં પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ આ પાકોનું આયોજનબદ્ધ મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) કરીને બજારમાં સીધું વેચાણ કરી બમણી કમાણી કરી રહ્યા છે. આ હરિયાળી ક્રાંતિમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગનો પ્રોત્સાહક અભિગમ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સરકાર દ્વારા તેમને પ્રાકૃતિક કૃષિના સંસાધનો વિકસાવવા માટે જરૂરી ટેન્ક, પંપ અને અન્ય અદ્યતન સાધનો વસાવવા હેતુસર રૂ. ૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
આ સરકારી પીઠબળ અંગે ખુશી વ્યક્ત કરતા હસમુખભાઈ જણાવે છે કે, “સરકાર તરફથી મળેલી સાધન સહાયને કારણે અમારું ખેતીકામ ઘણું ઝડપી અને સરળ બન્યું છે, જેનાથી મોટો આર્થિક ફાયદો થયો છે. આ ઉપરાંત, સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત યોજાતા વિવિધ સેમિનાર, ક્ષેત્ર મુલાકાતો અને કૃષિ શિબિરોનો લાભ લઈને અમે નવીન તકનીકો શીખ્યા છીએ અને હવે ગામના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ નફો મેળવવાનું પ્રેરણાદાયી સમજ આપી રહ્યા છીએ.”
સરકારના કૃષિ કલ્યાણના આ અભિગમથી નારણકાના આ ખેડૂત જેવા મોરબી જીલ્લા અને સમગ્રે રાજ્યના અનેક આજે ખરા અર્થમાં સમૃદ્ધિના પંથે અગ્રેસર બન્યા છે.






