મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો નિર્ણય, બેંકને મકાનના દસ્તાવેજની નકલ પોતાના ખર્ચે આપી ખર્ચ ચૂકવવા નિર્દેશ.
મોરબીના દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ લોનની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ પણ મોરબીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક દ્વારા મકાનના અસલ દસ્તાવેજ પરત ન આપતાં ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખના માર્ગદર્શન હેઠળ ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને બેંકની સેવામાં ખામી ગણાવી દસ્તાવેજની નકલ પોતાના ખર્ચે મેળવી આપવા તેમજ રૂ.૧૦ હજાર ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરુણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ સુમતિનગર વાવડી રોડ સ્થિત પોતાના મકાન ઉપર ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મોરબીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પરા બજાર શાખામાંથી રૂ. ૫ લાખની હોમ લોન લીધી હતી. તેમણે ૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લોનની સંપૂર્ણ ભરપાઈ કરી દીધી હતી, જેના અનુસંધાને બેંકે એનઓસી પણ આપી હતી. જોકે, લોન પૂર્ણ થયા બાદ પણ બેંક દ્વારા મકાનના અસલ દસ્તાવેજ પરત આપવામાં આવ્યા ન હતા. અરજદારે અનેક વખત બેંકમાં રજૂઆતો કરતા અંતે બેંક તરફથી દસ્તાવેજની ફાઇલ ખોવાઈ ગઈ હોવાનું જણાવાયું હતું.
ત્યારબાદ દિનેશચંદ્ર મહેતાએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કમિશને બેંકની સેવામાં ખામી હોવાનું માની જણાવ્યું હતું કે ગ્રાહકે લોનની સંપૂર્ણ ભરપાઈ કરી દીધી હોવાથી દસ્તાવેજ પરત આપવાની જવાબદારી બેંકની હતી. દસ્તાવેજની ફાઇલ ખોવાઈ જવી ગંભીર બેદરકારી હોવાનું અવલોકન કરીને કમિશને બેંકને રજિસ્ટ્રાર કચેરીમાંથી દસ્તાવેજની પ્રમાણિત નકલ પોતાના ખર્ચે મેળવી ફરિયાદીને આપવાનો તેમજ ફરિયાદીને ખર્ચ પેટે રૂ. ૧૦ હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે.






