વિરવિદરકા પાટિયા પાસે અકસ્માત બાદ એક ટ્રકમાં લાગી આગ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો.
મોરબી-માળીયા હાઈવે પર વિરવિદરકા પાટિયા નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં મોરબી ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તરફથી આવી રહેલો એક ટ્રક અચાનક ડિવાઈડર ટપી સામેની લેનમાં ઘૂસી ગયો હતો અને કચ્છ તરફથી આવી રહેલા અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કચ્છ તરફથી આવતા ટ્રકના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતની જાણ મોરબી ફાયર કંટ્રોલ રૂમને મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એક ટ્રકના ડ્રાઈવરને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ રાહુલભાઈ ધારાભાઈ આહીર ઉવ.૨૩ રહે. કચ્છ) તરીકે થઈ છે. માળીયા(મી) પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમનું મોત અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાઓના કારણે થયું હતું, આગ લાગવાને કારણે નહીં. જ્યારે અન્ય ટ્રકમાં સવાર અકબર જાનમામદ મિયાણા ઉવ.૨૮ રહે.કચ્છ વાળાને ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ માળીયા(મી) પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.






