મોરબી ગૌરક્ષકોની સરાહનીય કાર્યવાહી, પોલીસે બોલેરો સહિત રૂ.૫.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો.
મોરબી-માળીયા હાઇવે પર ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે લક્ષ્મીનગર ગામ નજીક બોલેરો રોકી તપાસ કરતાં તેમાં ૧૫ ઘેટા-બકરાને ક્રૂરતાપૂર્વક ભરી લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે તાલુકા પોલીસે બોલેરો ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અબોલ જીવોને કચ્છથી ભરી આપનાર અંજારના એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેને ફરાર દરસગાવી ત્રણેય આરોપીઓ સામે પશુપ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વેરાઈ શેરીમાં રહેતા ગૌરક્ષક ધવલભાઈ કિશોરભાઈ વાગડીયા સહિતના ગૌરક્ષકોને ગઈકાલ તા. ૨૨ જુલાઈના રોજ મળેલી બાતમીના આધારે મોરબી-માળીયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ નજીક રવિરાજ ચોકડી પાસે બોલેરો રજી.નં. જીજે-૧૩-એએક્સ-૭૮૨૩ અટકાવી તેની તલાશી લેતા તેમાંથી બે ઘેટા અને ૧૩ બકરા મળી કુલ ૧૫ પશુઓને ઘાસચારો અને પાણીની કોઈ વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. બોલેરો ચાલક પાસે પશુ હેરફેર માટેના જરૂરી પાસ-પરમિટ કે આધાર પુરાવા પણ ન હોય જેથી ગૌરક્ષકોએ વાહન સાથે બંને શખ્સોને મોરબી તાલુકા પોલીસને સોંપ્યા હતા. પોલીસે આરોપી રાહુલભાઈ વાલજીભાઈ વાધેલા ઉવ.૨૪ અને વાલજીભાઈ સવસીભાઈ વાધેલા ઉવ.૫૫ બન્ને રહે. શોભેશ્વર રોડ મફતીપરા મોરબી વાળાની ધરપકડ કરી છે, જ્યારે પશુઓને અંજારથી ભરી આપનાર હુશેનશાહ કામસશાહ શેખનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી પોલીસે બોલેરો અને ૧૫ ઘેટા-બકરા મળી કુલ રૂ.૫.૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






