પાડોશી કેર-ટેકરની ફરિયાદના આધારે અજાણ્યા ચોર સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો.
વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ વિસ્તારમાં માનસિક અસ્થિર અને વર્ષોથી ભીખ માંગી ગુજરાન ચલાવતા મહિલાના મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરે રોકડા આશરે રૂ.૫૦ હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ વિસ્તારમાં રહેતા નિર્મળાબેન મગનભાઈ ગોહેલ માનસિક રીતે અસ્થિર હોવાનું અને તેમના પતિનું વર્ષો અગાઉ અવસાન થયું હોય અને સંતાન ન હોવાથી તેમના પાડોશી રમેશભાઈ મકવાણા અને તેમનો પરિવાર નિર્મળાબેનની દવા, ભોજન સહિતની સંભાળ રાખતા હતા. ત્યારે નિર્મળાબેન વાંકાનેર તથા આસપાસના વિસ્તારમાં ભીખ માંગી વર્ષોથી ભેગા કરેલ રૂપિયા પોતાના ઘરમાં પ્લાસ્ટિકની એક મોટી થેલીમાં રાખતા હતા. ત્યારે પાડોશી રમેશભાઈએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૧૧ ઓગસ્ટની રાતથી તા.૧૨ ઓગસ્ટની રાત્રીના આશરે દસ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરે મકાનનું તાળું અને બારસાખ તોડી ઘરમાં પ્રવેશ કરી, નિર્મળાબેને ભીખ માંગી આશરે સાત-આઠ વર્ષ દરમિયાન ભેગા કરેલા રૂ.૫૦ હજાર જેટલા રોકડા રાખેલી પ્લાસ્ટિકની થેલીની ચોરી કરી લઈ ગયા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






