માળીયા(મી)ના પંચવટીના પાટિયા પાસે સ્કોર્પિયોમાં આવેલા બે શખ્સો સહિત ચાર સામે ફરિયાદ.
માળીયા(મી) તાલુકાના પંચવટી ગામના પાટિયા પાસે ભંગારના ડેલાની રાત્રિ ચોકીદારી કરનારને છરી બતાવી ડેલો ખાલી કરી દેવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે માળીયા(મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, માળીયા(મી) ના ખીરઇ ગામે રહેતા સુલ્તાનભાઈ રહેમાનભાઈ સામતાણી ઉવ.૪૭ ભંગારના ડેલે ચોકીદાર તરીકે કામ કરે છે, ત્યારે ગત તા.૨૪/૦૮/૨૦૨૬ની રાત્રે કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં આરોપી ઈકબાલ હાજીભાઈ મોવર, રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી તથા બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. ચારેયે ગાળો આપી ડેલો ખાલી કરી દેવા કહ્યું હતું. ત્યારે ફરિયાદી સુલ્તાનભાઈએ ગાળો આપવાની ના પાડતા ઈકબાલ અને રણમલે પોતાના નેફામાંથી છરી કાઢી, ફરિયાદી તથા તેના કૌટુંબિક ભાઈ અલ્તાફને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બનાવ અંગે સુલ્તાનભાઈએ ફરિયાદ નોંધાવતા માળીયા(મી) પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસની કલમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






