મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે ધરમપુર રોડ પર સુરાપુરા દાદા મંદિર પાસેથી ત્રણેયને ઝડપી પાડ્યા
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સબ સ્ટેશનના રીએક્ટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકની સૂચના તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલા ખાસ ડ્રાઇવ અંતર્ગત મોરબી તાલુકા પોલીસની ટીમ કાર્યવાહી કરી રહી હતી. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ ખાનગી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીએક્ટર ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ ધરમપુર રોડ પર સુરાપુરા દાદા મંદિર પાસે ઉભા છે. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપી અરવિંદભાઈ બચુભાઈ વિરમગામીયા ઉવ. ૩૩ રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી, વનરાજભાઈ દેવરાજભાઈ કુંઢીયા ઉવ.૨૦ રહે. લીલાપર ચોકડી જોગમાયા દુકાનની પાછળ તા.જી. મોરબી, કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઈ વિરમગામીયા ઉવ.૩૫ રહે. કુળદેવ પાનની બાજુમાં મફતીયાપરા મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવાની તજવીજ શરૂ કરી છે.






