મોટા દહીંસરા દરગાહે સલામ કરી મોરબી પરત ફરતા દંપતીને ગોઝારા અકસ્માતે ભરખી લીધા: પરિવારમાં શોકનો માહોલ.
માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામના પાટિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર પતિ-પત્નીનાં મોત નીપજ્યાં હતાં. મોટા દહીંસરા ખાતે દરગાહે સલામ કરી મોરબી પરત ફરી રહેલા દંપતીને ટ્રક ચાલકે ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી બંનેને મૃત જાહેર કર્યા હતા.
મળતી વિગતો અનુસાર, ગઈકાલે તા.૦૧/૦૯ના રોજ સાંજના અરસામાં રહીમભાઈ ઈશાભાઈ ચીંચોદરા ઉવ.૪૬ તથા તેમના પત્ની મેરૂનબેન ઉવ.૪૫ મોટરસાયકલ પર મોટા દહીંસરા ગામે કરપીર દાદાની દરગાહે સલામ કરવા ગયા હતા. સલામ કરી બંને મોરબી પરત ફરી રહ્યા હતા ત્યારે નાના દહીંસરા ગામના પાટિયા નજીક પહોંચતા જીજે-૧૨-બીટી-૯૫૨૮ નંબરના ટ્રકના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્મતમાં રહીમભાઈ અને મેરૂનબેનને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ મૃતકના મોટાભાઈ અબ્બાસભાઈ ઈશાભાઈ ચીંચોદરા રહે. માથક ગામ તા. હળવદ વાળાની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






