મોરબી તાલુકાના સરતાનપર રોડ પર મીલેનીયમ સીરામીક પાસે પુર ઝડપે આવતા ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ગાયત્રીનગર શેરી નં-૪ કુબેરનગર વિસ્તારમાં રહેતા મૂળ જામનગર જીલ્લાના ચંદ્રગા ગામના વતની કુલદિપસિંહ લાલુભા જાડેજા ઉવ.૩૩ મોઝાટ વિટ્રીફાઈડ કારખાનામાં છેલ્લા આઠ વર્ષથી ડ્રાઇવિંગનું કામ કરતા હતા. ત્યારે ગઈકાલે તા. ૭ સપ્ટેમ્બરના રોજ તેઓ હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએસ-૩૭૨૮ લઈને કારખાનેથી નીકળ્યા હતા તે દરમિયાન સરતાનપર રોડ પર મીલેનીયમ સીરામીક પાસે પહોંચતા સામેથી આવી રહેલ ટ્રક નં. જીજે-૧૦-એક્સ-૭૫૨૭ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી આવી કુલદિપસિંહના મોટરસાયકલને હડફેટે લીધુ હતું.
અકસ્મતમાં કુલદિપસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટા ભાઈ મયુરસિંહ લાલુભા જાડેજાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






