ઝાંઝર સિનેમા સામે સર્વિસ રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાતા પંચાસરના ૬૭ વર્ષીય ઉસ્માનભાઈ ભોરણીયાને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
વાંકાનેરના ઝાંઝર સિનેમા સામે સર્વિસ રોડ પર ગત તા.૧૧/૦૯ના રોજ જીજે-૦૩-બીપી-૬૯૯૬ નંબરનું મોટરસાયકલ લઈને વાંકાનેર તાલુકાના પંચાસરથી વાંકાનેર તરફ આવતા ઉસ્માનભાઈ મીમનજીભાઈ ભોરણીયા ઉવ.૬૭ના મોટરસાયકલ સાથે જીજે-૩૬-બીએ-૦૨૫૮ નંબરના મોટરસાયકલના ચાલકે પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ઉસ્માનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર આશીફભાઈ ઉસ્માનભાઈ ભોરણીયા રાય. હાલ શિશુ વિહાર પ્રભુદાસ તળાવ ભાવનગર મૂળ પંચાસર તા.વાંકાનેર વાળાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી મોટરસાયકલના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






