ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ધોળા દિવસે રહેણાંક મકાનમાં પરિવારના સભ્યો બહાર ગયા હોય ત્યારે અજાણ્યો ચોર મકાનમાં પ્રવેશ્યો હતો અને લોખંડના કબાટના લોક તોડી તેમાં રાખેલા આશરે ૯૯૮ ગ્રામ ચાંદીના દાગીના અને ૯ ગ્રામ સોનાની પાનબુટી સહિત કુલ રૂ.૨,૪૭,૬૦૦/-નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ટંકારા ટાઉન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડ ઉવ.૪૧ કટલેરીનો વેપાર કરે છે. ગત તા.૧૬/૦૯ના રોજ સવારે તેઓ પત્ની અને પુત્રવધૂ સાથે ઘર બંધ કરી દુકાને ગયા હતા. દરમિયાન બપોરે આશરે ૨ વાગ્યાથી સાંજે સાડા પાંચ વાગ્યા વચ્ચે અજાણ્યા ચોરે મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલા લોખંડના કબાટનું લોક તોડી ચોરી કરી હતી. સાંજે ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હોવાની જાણ થતાં ફરિયાદી ઘરે પહોંચ્યા હતા. તપાસ કરતાં કબાટમાંથી ચાંદીની કળીની જોડ, ચાર લાઇનવાળા છળાની જોડ, સાંકળા તથા નાના સાંકળાની જોડ અને ચાંદીનું મંગળસૂત્ર સહિત આશરે ૯૯૮ ગ્રામ કિ.રૂ.૧,૩૮,૬૦૦/- તેમજ ૯ ગ્રામની રૂ.૧,૦૯,૦૦૦/-ની સોનાની પાનબુટીની જોડ મળી કુલ રૂ.૨,૪૭,૬૦૦/-ના દાગીના તથા તેના બીલની ચોરી થયાનું સામે આવ્યું હતું. ચોરી અંગે સુનિલભાઈ રાઠોડે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






