હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના સાયફનમાં અજાણ્યા કોઈ ઈસમ દ્વારા બાકોરું પાડી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આશરે રૂ.૨૦ હજારનું નુકસાન થતાં હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જુના અમરાપર ગામે રહેતા દિલીપકુમાર કરમશીભાઈ ચાવડાએ હળવદ પોલીસ મથકમાં કરેલ અરજીને આધારે હાલ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. જે ફરિયાદ મુજબ, ગત તા.૧૮ જૂનની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે જૂના દેવળીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નિગમની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલના સાયફનમાં બાકોરું પાડી સરકારની જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્રાથમિક અંદાજ મુજબ કેનાલને આશરે રૂ.૨૦ હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસે ભારતીય ન્યાય સહિતાની કલમ-૩૨૪(૩), ૩૨૪(૪) તથા પબ્લીક પ્રોપ્રટી ડેમેજ એકટ મુજબ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.






